અંકુર પટેલ,વલસાડ
જી.એચ.સી.એલ.ના સહયોગથી સાત ગામના ૩૧૦ આદિજાતિ ખેડૂતોને વિનામૂલ્યે ખાતર અપાયું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભિલાડ તેમજ હોમ ટેક્ષ્ટાઇલ ડીવીઝનના ઉપક્રમે ટકાઉ ખેતી પ્રોજેકટ અંતર્ગત ભિલાડ, કરમબેલી, વલવાડા, બોરલાઇ, અચ્છારી અને નાહુલી મળી કુલ સાત ગામના ૩૧૦ આદિજાતિ ખેડૂતોને વિના મૂલ્યે ખાતર અને બિયારણ વિતરણનો કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશનની સેવાકીય કામગીરીની બિરદાવતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને આર્થિક પરિસ્થિતિ સુધરે તેવા રાજ્ય સરકારના પ્રયાસો રહયા છે. જેના ભાગરૂપે રાજ્યના ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ રાહતદરે બિયારણ અને ખાતર આપવાનું આયોજન કર્યું છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લઇ પોતાનો વિકાસ સાધવા જણાવ્યું હતું. કૃષિ મહોત્સવના આયોજન થકી રાજ્યના ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી આધુનિક ખેતીની જાણકારી થકી આજે રાજ્યના ખેડૂતો મબલખ ખેત ઉત્પાદન મેળવી રહયા છે, જેનો યશ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતલક્ષી પ્રયાસોને જાય છે. લોકડાઉનમાં રાજ્યનો કોઇ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે સંબંધિત રેશનકાર્ડધારકોને અગાઉ ત્રણ માસ સુધી વિનામૂલ્યે અન્ન આપવામાં આવ્યું હતું, જે હજુ બીજા ત્રણ મહિના સુધી આપવાનું આયોજન કરાયું છે. કોરોના મહામારી જેવી મોટી આપત્તિ સામે રક્ષણ મેળવવા સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી કોરોના અંગે રાજ્ય-કેન્દ્ર સરકારે સૂચવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરવા અનુરોધ કર્યો હતો.
જી.એચ.સી.એલ.ના મહેન્દ્રભાઇ સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી તેમની સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે ખાતરની સાથે સરગવો, કંટોલા, દૂધી જેવા સાત પ્રકારના બિયારણો પણ ખેડૂતોના ઘર ઉપયોગ માટે આપવામાં આવ્યા છે.
આ અવસરે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ભિલાડના રાજેશભાઇ, અસિમતાબેન, અગ્રણી પિયૂષભાઇ શાહ, બોરીગામના કેતનભાઇ નંદવાણા, સુનિતાબેન સહિત લાભાર્થીઓ હાજર રહયા હતા.